વિદેશ પ્રવાસે જતાં લોકોને હવે વધારે સુવિધા મળશે. FTI-TTP હવે 5 નવા એરપોર્ટ પર શરૂ કરવામાં આવ્યું છે. ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ સેવાની શરૂઆત કરી છે.
આ પહેલ સૌથી પહેલા જુલાઈ 2024માં ઈંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક (દિલ્હી) પર શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ બે મહિનામાં જ આ સેવા મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કોચ્ચિ અને અમદાવાદ એરપોર્ટ પર શરૂ થઈ હતી.
હવે ગુરુવારે આ સુવિધા લખનઉ, તિરુવનંતપુરમ, તિરુચિરાપલ્લી, કોઝિકોડ અને અમૃતસર એરપોર્ટ પર પણ શરૂ થઈ છે.
કુલ કેટલા એરપોર્ટ પર છે આ સેવા?
- ઈંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (દિલ્હી)
- મુંબઈ એરપોર્ટ
- ચેન્નાઈ એરપોર્ટ
- કોલકાતા એરપોર્ટ
- બેંગલોર એરપોર્ટ
- હૈદરાબાદ એરપોર્ટ
- કોચ્ચિ એરપોર્ટ
- અમદાવાદ એરપોર્ટ
- લખનઉ એરપોર્ટ
- તિરુવનંતપુરમ એરપોર્ટ
- તિરુચિરાપલ્લી એરપોર્ટ
- કોઝિકોડ એરપોર્ટ
- અમૃતસર એરપોર્ટ
અમિત શાહે શું કહ્યું?
“ગૃહમંત્રી અમિત શાહે ડિજિટલ માધ્યમથી યોજાયેલા ખાસ કાર્યક્રમમાં કહ્યું કે ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન – ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ ઇમિગ્રેશન પ્રક્રિયાને સરળ, ઝડપી અને અવરોધમુક્ત બનાવે છે. આ કાર્યક્રમનો સૌથી વધુ લાભ OCI કાર્ડધારકો અને વિદેશ પ્રવાસે જતાં ભારતીય નાગરિકોને મળશે. અત્યાર સુધીમાં ત્રણ લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી 2.65 લાખ લોકોએ આ સુવિધાનો લાભ લીધો છે.”
અન્ય અધિકારીઓએ જણાવ્યું કે,
‘આ પ્રોગ્રામ ત્વરિત ઈમિગ્રેશન મંજૂરી સુનિશ્ચિત કરે છે અને અત્યાર સુધીમાં ઈ-ગેટ્સ મારફતે હજારો મુસાફરોને ઝડપી મંજૂરી મળી ચૂકી છે. પી.એમ. મોદીએ હંમેશા કહ્યું છે કે ટેક્નોલોજી સાથે સાથે વિશ્વાસ વધારવાના સાધન તરીકે પણ આપણે કામ કરવું પડશે.’
સેવાનો મુખ્ય હેતુ
FTI-TTP ‘વિકસિત ભારત @2047’ વિઝન હેઠળની એક મહત્વની પહેલ છે. તેનો હેતુ મુસાફરોને વિશ્વસ્તરીય ઈમિગ્રેશન સુવિધાઓ આપવાનો છે, જેથી આંતરરાષ્ટ્રીય પ્રવાસ વધુ સરળ અને સુરક્ષિત બની શકે. શરૂઆતમાં આ સેવા ભારતીય નાગરિકો અને OCI કાર્ડધારકો માટે સંપૂર્ણ મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
કેવી રીતે મળશે લાભ?
- આ સેવા માટે એક ઑનલાઇન પોર્ટલ બનાવવામાં આવ્યું છે: https://ftittp.mha.gov.in
- અરજદારોને આ પોર્ટલ પર જઈને પોતાની વિગત ભરી અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરવા પડશે.
- ત્યારબાદ અરજદારનો બાયોમેટ્રિક ડેટા વિદેશી પ્રાદેશિક નોંધણી કચેરી (FRRO)માં લેવામાં આવશે અથવા સીધા એરપોર્ટ પરથી મુસાફરી દરમિયાન લેવામાં આવશે.
- રજીસ્ટ્રેશન કર્યા પછી મુસાફરને ઈ-ગેટ પર પોતાનો બોર્ડિંગ પાસ અને પાસપોર્ટ સ્કેન કરવો પડશે.
- આગમન કે પ્રસ્થાન બંને સમયે ઈ-ગેટ પર મુસાફરના બાયોમેટ્રિક્સ વેરિફાય કરવામાં આવશે. જો બાયોમેટ્રિક્સ વેરિફાય થશે તો ઈ-ગેટ આપમેળે ખુલી જશે અને ઈમિગ્રેશન મંજૂર માનવામાં આવશે.
