સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.-2ના કોર્પોરેટર રાજેશભાઇ રાઘવભાઇ મોરડિયા વિરુદ્ધ સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. દ્વારા ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોર્પોરેટર મોરડિયાએ 1/04/2021થી 31/03/2025 સુધીના તેમના સેવા કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર રીતે આવક મેળવીને પોતાની કાયદેસરની કુલ આવકની સરખામણીમાં 68.50% જેટલી વધુ એટલે કે, રૂપિયા 29,78,772ની અપ્રમાણસર મિલકત વસાવી છે. તેમણે પોતાના પદનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર ઇરાદાપૂર્વક અને ગુનાહિત ગેરવર્તણૂંક આચરીને આ અપ્રમાણસર મિલકતનો ગુનો કર્યો હોવાનું એ.સી.બી.ની તપાસમાં સામે આવ્યું છે.
બેંક ખાતા સહિતની તપાસ કરાશેઃ ACP એન્ટીકરપ્શન બ્યુરો સુરતના ACP આર. આર. ચૌધરીએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.2ના કોર્પોરેટર રાજેશભાઈ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. આજથી ચાર મહિના પહેલાં લેખિતમાં અપ્રમાણસર મિલકત અંગેની ફરિયાદ મળી હતી. આ અરજીની તપાસ કરવામાં આવી હતી. રાજેશભાઈની કાયદેસરની આવક ઉપરાંત 68.50 ટકા જેટલી ગેરકાયદેસર સંપત્તિ મળી આવી છે. તેમની વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમના ઘરે સર્ચ કરવામાં આવશે. બેંક એકાઉન્ટ્સ, બેંક લોકર્સ સહિતની તમામ વિગતોની તપાસ કરવામાં આવશે.

આર્થિક ગેરરીતિના કારણે AAPએ સસ્પેન્ડ કર્યા હતા રાજેશ મોરડિયાની રાજકીય કારકિર્દી વિવાદોથી ઘેરાયેલી રહી છે. તેઓ મૂળરૂપે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈને કોર્પોરેટર બન્યા હતા. જોકે, આર્થિક ગેરરીતિઓના કારણે AAP દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

AAPમાંથી ભાજપમાં જોડાવા માટે નાણાંની લેવડદેવડનો એક ઓડિયો વાઇરલ થયો હતો AAPના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે, મોટા વરાછામાં કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર પાસેથી પૈસાની ઉઘરાણી કરવા બદલ તેમની વિરુદ્ધ ઉતરાણ પોલીસ મથકમાં ખંડણીનો ગુનો પણ દાખલ થયેલો છે. આ ઉપરાંત, સવા વર્ષ પહેલાં AAPમાંથી ભાજપમાં જોડાવા માટે નાણાંની લેવડદેવડ અંગેનો એક ઓડિયો વાઇરલ થયો હતો, જે બાદ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતા. હાલમાં તેઓ કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા નથી અને અપક્ષ કોર્પોરેટર તરીકે સેવા આપી રહ્યા છે, પરંતુ રૂ. 29,78,772ની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થતાં તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
