Vadodara News Network

GSECLમાં ભરતીની માગ સાથે ભૂખ હડતાળનો બીજો દિવસ:વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ઉમેદવારોના સમર્થનમાં જોડાયા, કહ્યું-‘ગુજરાતમાં અધિકારીઓ પોતાને દાદા સમજે છે’

ગુજરાત સરકારની જીસેક (ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ)માં હેલ્પરની 800 જગ્યા પર ભરતી અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી વીજ કંપની અને સરકારે કરી નથી.જેને પગલે રાજ્યભરમાંથી આવેલા 100થી વધુ એપ્રેન્ટિસ ઉમેદવારો રેસકોર્સ ખાતે વીજ કંપનીના ગેટ પાસે બે દિવસથી ભૂખ હડતાળ પર ઊતર્યા છે. આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ આ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા છે અને વડોદરાના રેસકોર્સ સર્કલ ખાતે આવેલા વિદ્યુત ભવન બહાર ઉમેદવારોની સાથે તેઓ પણ હડતાળમાં જોડાયા હતા.

આ મામલે યુવરાજસિંહે GUVNL(ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.)ના એમડીને મળીને આ મુદ્દે રજૂઆત કરશે. અગાઉ જીસેકમાં 800 હેલ્પરોની જગ્યાઓ ખાલી હતી, પરંતુ હવે 1200 જગ્યાઓ ખાલી પડેલી છે. આ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો માંગ કરી રહ્યા છે.

વડોદરામાં વિદ્યુત ભવન બહાર આંદોલન કરી રહેલા ઉમેદવારો
વડોદરામાં વિદ્યુત ભવન બહાર આંદોલન કરી રહેલા ઉમેદવારો

1200 ખાલી જગ્યા હોવા છતા કાયમી ભરતી નથી થતી- યુવરાજસિંહ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા વર્ષ-2022માં એવા વચનો આપવામાં આવ્યા હતા કે, જે જગ્યાઓ ખાલી છે, તેને 2થી 3 મહિનામાં ભરી દેવામાં આવશે અને તે સમયે 5500થી વધુ ફોર્મ ભરાયા હતા અને તે સમયે 800 જગ્યાઓ ખાલી હતી. આજે 2025માં 1200 કરતા વધુ જગ્યાઓ ખાલી છે.આજે પણ જીસેક દ્વારા ભરતી માટે ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. જીસેક અને GUVNLના એમડી વચ્ચે સંકલનનો અભાવ દેખાઇ રહ્યો છે. એના કારણે આ ઉમેદવારો પિસાઇ રહ્યા છે. પોતાની માનીતી આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ એજન્સીને કોન્ટ્રાક્ટ આપીને તેમને ફાયદો કરાવીને મલાઇ ખાવા મળે તે માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. અમારી માંગણી છે કે, કાયમી ભરતી કરવી જોઇએ.

‘ગુજરાતમાં નેતાઓ કરતા અધિકારીઓનું વધુ રાજ ચાલે છે’ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં નેતાઓ કરતા અધિકારીઓનું રાજ વધારે ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, અધિકારીઓ પોતાને દાદા સમજી રહ્યા છે. GUVNLના એમડીએ આ ઉમેદવારોને મળવાનો પણ સમય આપ્યો નથી. આજે વિદ્યાર્થી નેતા તરીકે GUVNLના એમડી સાથે મુલાકાત કરીને કોઇ યોગ્ય નિરાકરણ લાવીશું. તેઓ પોતાના હઠાગ્રહી સ્વભાવ રાખશે તો આવનારા દિવસોમાં એ ભોગવવા માટે રહેવું પડશે. અમે તેઓ જે ભાષામાં સમજે છે, તેમને તેમની જ ભાષામાં જવાબ આપીશું. અહીં GUVNLના એમડી આવશે, તો એમની ગાડીનો ઘેરાવ કરીશું અને એમના ઘરનો ઘેરાવ પણ કરીશું અને આવનારા દિવસોમાં માંગણીઓ સ્વિકારમાં નહીં આવે તો આંદોલન કરવા માટે પણ તૈયાર છીએ અને ભૂખ હડતાળ કરીને આંદોલનને આગળ ધપાવીશું.

આંદોલનનો બીજો દિવસ છતાં કોઈ મળવા ન આવ્યું ઉમેદવાર ધર્મેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અમે ગઇકાલે સવારથી આંદોલન ઉપર બેઠા છીએ. ગઇકાલે રાત્રે પણ આંદોલન ચાલુ રાખ્યું હતું. અમને આખી રાત મચ્છરો કરડ્યા છે. આ સમયે અમને કોઇ મળવા કે, જોવા પણ આવ્યું નથી. આખી રાત અમે જાગ્યા છીએ. આજે પણ અમારું આંદોલન યથાવત છે. જ્યાં સુધી અમારી માંગણી નહીં પૂરી થાય ત્યાં સુધી અમારી ભૂખ હડતાળ ચાલુ રહેશે. આ ડબલ એન્જીનની સરકાર કોઇ નિર્ણય લઇ રહી નથી. આ ભરતીનો પ્રશ્ન અટકી રહ્યો છે. આ બેરોજગાર યુવાનોની હાલત કફોડી બની ગઇ છે. અમારી આ ભૂખ હડતાળ દરમિયાન કેટલાક યુવાનોની તબિયત પણ બગડી છે.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા

અનેક રજૂઆતો છતા અમને ગોળ ગોળ જવાબ મળે છે- ઉમેદવાર ભૂખ હડતાળ પર ઊતરેલા ઉમેદવારોએ કહ્યું કે, ગત વખતે 10 દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવાની વાત સત્તાધીશોએ કરી હતી. આ વાતને મહિનો થવા છતાં ભરતી અંગે કોઈ કાર્યવાહી થઇ નથી. જેથી ભૂખ હડતાળ પર જવાની ફરજ પડી છે. અમે 3 માર્ચે રેસકોર્સ જીસેક કંપનીની હેડ ઓફિસની બહાર દેખાવો કર્યા હતા. એ પછી સરકારમાં પણ રજૂઆત કરી મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો હતો. જીસેક દ્વારા જૂન-2022માં 800 હેલ્પરોની ભરતી માટે પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં 5500થી વધુ ફોર્મ ભરાયાં હતાં. જે તે સમયે વેરિફિકેશન થયું હતું, પણ પરીક્ષા લેવાઈ નથી. અનેક વખત રજૂઆતો કરવા છતાં કંપની ગોળ ગોળ જવાબ આપે છે.

Aniket Shah
Author: Aniket Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ:અમદાવાદ વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલ આત્માઓની શાંતિ અર્થે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં સંતો અને વિદ્યાર્થીઓની ભગવાન સ્વામી નારાયણને પ્રાર્થના કરી

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved