પુણેમાં મંગેતર કેતન અગ્રવાલ મર્ડર કેસમાં નવો ખુલાસો થયો છે. કેતનને જે લોહગઢ કિલ્લા પરથી ધક્કો મારવામાં આવ્યો હતો. ત્યાંના ગાર્ડે જણાવ્યું કે તેણે સિયાના ચીસો પાડવાનો અવાજ સાંભળ્યો હતો.
ગાર્ડ ધીરજ જાધવના જણાવ્યા અનુસાર, ચીસો સાંભળીને તે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે મુખ્ય આરોપી અને કેતનની મંગેતર સિયા ગોયલ મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. મેં સિયા ગોયલને પૂછ્યું કે શું થયું, તો તેણે કહ્યું કે અહીંથી કોઈ પડી ગયું છે. આ પછી મેં તરત જ પોલીસને જાણ કરી.
બીજી તરફ સિયા ગોયલની માતા પૂજા ગોયલે કહ્યું, ‘આ મામલામાં જો કોઈ પણ દોષિત હોય તો તેને કડકમાં કડક સજા મળવી જોઈએ. જો મારી દીકરી દોષિત છે, તો તેને પણ તે જ જગ્યાએથી નીચે ફેંકી દેવી જોઈએ, જ્યાંથી કેતનને ધક્કો માર્યો હતો.’
સિયા અને કેતન 18 જૂને પુણેના લોહગઢ કિલ્લા પર ફરવા ગયા હતા. આ દરમિયાન કેતન ખાઈમાં પડી જવાથી મૃત્યુ પામ્યો. સિયા પર તેના બોયફ્રેન્ડ ચેતન ચૌધરી સાથે મળીને મંગેતરની હત્યા કરવાનો આરોપ છે. બંને હાલ પોલીસ કસ્ટડીમાં છે અને કેસની તપાસ ચાલુ છે.

માતાએ કહ્યું- સિયા લગ્નને લઈને ખુશ હતી
પરિવારને સિયા અને કેતનના લગ્નથી ઘણી અપેક્ષાઓ હતી. કેતનનો પરિવાર પણ સિયાને ખૂબ પ્રેમ અને સ્નેહ આપતો હતો. બધા કાર્યક્રમો સારી રીતે ચાલી રહ્યા હતા.
જો અમને લાગતું કે સિયાને કોઈ મુશ્કેલી થઈ રહી છે અથવા તે કેતન સાથે વાત કરી શકતી નથી, તો તેઓ અમારી સાથે વાત કરતા. સિયાની આ લગ્નમાં સંમતિ હતી.
અમને ચેતન વિશે કંઈ જ ખબર નહોતી. સગાઈ પછીથી તે ફક્ત કેતન સાથે જ વાત કરતી હતી. મને નથી લાગતું કે તે (ગુનો કરવા માટે) સંમત થઈ હશે, પરંતુ જો તપાસમાં તે દોષિત ઠરે છે, તો તેને સખતમાં સખત સજા કરવામાં આવે.
પિતા પ્રવીણ ગોયલે કહ્યું- કેતન જ સિયાને લોહગઢ લઈ ગયો હતો
સિયાએ મને પોતે જ કહ્યું હતું કે આ છોકરા સાથે મારું સગપણ કરાવી દો. કેતને જ સિયાને ફોન કરીને લોહગઢ કિલ્લા પર જવા કહ્યું હતું. તે જ કાર લઈને આવ્યો હતો.
કેતન અને સિયા એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. એકવાર તો કેતન સવારે 4 વાગ્યે જ સિયાને મળવા ઘરે આવી ગયો હતો.
કેતનની હત્યા પહેલાં કેફેમાં મળ્યા હતા સિયા-ચેતન

કેતનની હત્યાના એક દિવસ પહેલા 17 જૂને આરોપી સિયા અને પ્રેમી ચેતન ચૌધરી એક કેફેમાં મળ્યા હતા. ન્યૂઝ એજન્સી IANSએ પોલીસ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે અહીં જ લોહગઢ કિલ્લા પર કેતનને ખીણમાં ધક્કો મારવાનો પ્લાન બનાવ્યો હતો.
બંનેએ તે પોઈન્ટ પણ શોધી કાઢ્યો હતો, જ્યાંથી કેતનને ધક્કો મારવાનો હતો. જો કેતન આમાંથી પણ બચી જાત તો 20 જૂન પછી માર્ગ અકસ્માતમાં મારવાનો બેકઅપ પ્લાન તૈયાર હતો.
જોકે, 31 મેના રોજ સિયા અને મંગેતર કેતન લોહગઢ કિલ્લા પર ગયા હતા. ત્યાં કેતન એક ખતરનાક જગ્યાએ બેઠો હતો. ત્યારે સિયાને તેને મારવાનો વિચાર આવ્યો.
14 જૂને પણ કેતનને ધક્કો મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સમયે સિયાએ સાપ દેખાવાનું બહાનું બનાવીને ઘટનાને અકસ્માત ગણાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેતન બચી ગયો હતો.

સિયા અને ચેતનને સામસામે બેસાડીને પૂછપરછ, એકબીજાને માસ્ટરમાઇન્ડ ગણાવી રહ્યા છે
કેતન મર્ડર કેસમાં તેની મંગેતર સિયા અને સિયાના પ્રેમી ચેતનને 7 દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે મોડી રાત્રે બંનેને સામસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ દરમિયાન બંનેનો વ્યવહાર સંપૂર્ણપણે બદલાઈ ગયો. ચેતને પોલીસને કહ્યું કે તે સિયા સાથે ભાગી જવા માંગતો હતો, પરંતુ સિયા તૈયાર નહોતી. કેતનને રસ્તામાંથી હટાવવા અને મર્ડરનો આખો પ્લાન સિયાએ જ જીદ કરીને બનાવ્યો હતો.
આટલું કહેતા જ સિયાએ ચેતન પર પલટવાર કર્યો. તેણે કહ્યું કે હત્યાનો વિચાર ચેતનનો હતો. જ્યારે 14 જૂને પહેલીવાર કેતનને મારવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો, ત્યારે ચેતન તેની સામે રડ્યો હતો કે તેનો પ્લાન નિષ્ફળ ગયો. જોકે, તપાસ અધિકારીઓનું કહેવું છે કે આ આરોપીઓની ડિફેન્સ સ્ટ્રેટેજી હોઈ શકે છે. પોલીસ પાસે પૂરતા પુરાવા છે.

31 મેના રોજ મારવાનો વિચાર આવ્યો, 18 જૂને મર્ડર

31 મે: સિયાને કેતનની હત્યાનો પ્લાન સૂઝ્યો: 11 ફેબ્રુઆરીએ સગાઈ પછી કેતન, સિયાને ઘરે લઈ આવતો હતો, સાથે ફરવા લઈ જતો હતો. તેને ટ્રેકિંગ એટલે કે પહાડી ચડવાનો શોખ હતો. તેણે સિયાને ટ્રેકિંગ માટે લોહગઢ કિલ્લે જવાા કહ્યું. રિપોર્ટ્સ અનુસાર જ્યારે બંને કિલ્લાની સૌથી ઊંચી ચોટી પર પહોંચ્યા, ત્યારે અહીં જ સિયાને પહેલીવાર કેતનથી પીછો છોડાવવા માટે તેને પહાડી પરથી ધક્કો મારીને મારી નાખવાનો પ્લાન સૂઝ્યો.
5 જૂન: કિલ્લા પર જવાની જીદ કરી, કેતન ન ગયો: સિયાએ 4 જૂને કેતન પાસે ફરીથી લોહગઢ કિલ્લા પર જવાની જીદ કરી. ત્યારે કેતનના ઘરનાઓએ ના પાડી દીધી. 6 જૂને કેતન, તેની બહેન, એક મિત્ર અને સિયાની ઇન્ડોનેશિયાના બાલી જવાની ટિકિટ બુક હતી. બધા લોકો ફ્લાઇટ પકડવા માટે નીકળ્યા. પુણે ગ્રામીણના SP સંદીપ સિંહ ગિલના જણાવ્યા અનુસાર, કેતન સાથે બાલી ન જવું પડે, તેથી સિયાએ તેનો પાસપોર્ટ પોતાની પાસે અલગ રાખી લીધો હતો.
14 જૂન: બીજી કોશિશ, ધક્કો માર્યો, પણ કેતન બચી ગયો: સિયાએ કેતનને ફરીથી કિલ્લા પર ચાલવા કહ્યું. બોલી કે મને તે જગ્યા પસંદ છે. પોલીસના જણાવ્યા અનુસાર 14 જૂને બંને કિલ્લા પર પહોંચ્યા. સિયાએ કેતનને એક જગ્યાએ પાછળથી ધક્કો માર્યો. ઝાડનો સહારો મળવાથી કેતન બચી ગયો. તેણે પૂછ્યું- ‘ધક્કો કેમ માર્યો? સિયાએ કહ્યું, ‘એક સાપ હતો, તને તેનાથી બચાવવા માટે ધક્કો માર્યો.’ કેતને ઘરે આવીને બધાને જણાવ્યું કે સિયાના કારણે તેનો જીવ બચી ગયો.
18 જૂન: ત્રીજા પ્રયાસમાં બોયફ્રેન્ડ સાથે મળીને ધક્કો માર્યો: 19 જૂને સિયાનો જન્મદિવસ ઉજવવા માટે કેતને મહાબળેશ્વરમાં એક લક્ઝરી રિસોર્ટ બુક કર્યો હતો. સિયાએ તે પહેલાં કેતનને પ્રી-વેડિંગ ફોટોશૂટની વાત કહીને લોહગઢ કિલ્લા પર જવા માટે મનાવી લીધો. આ વખતે પાછળ-પાછળ ચેતન પણ હતો. એક જગ્યાએ જ્યારે કેતન પહાડીઓ તરફ જોઈ રહ્યો હતો, ત્યારે બંનેએ તેને પાછળથી ધક્કો મારી દીધો.
ત્રણ પુરાવા; સિયાનું જૂઠાણું, CCTV ફૂટેજ, 2004 વાર કોલ
પહેલો પુરાવો: સિયાના હાવભાવથી કેતનની બહેનને શંકા થઈ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 21 જૂને સિયા કેતનના ઘરે પહોંચી. કેતનની બહેને પૂછ્યું- કેતન કેવી રીતે પડ્યો? આ સવાલ પર સિયાના હાવભાવ અચાનક બદલાઈ ગયા. તે બરાબર જવાબ આપી શકતી ન હતી.
કેતનની બહેનને શંકા ગઈ અને તેણે પિતા વિશાલ અગ્રવાલને કહ્યું- ભાઈ સારો ટ્રેકર છે, તેનું મૃત્યુ અકસ્માત ન હોઈ શકે. સિયા બરાબર જવાબ આપી રહી નથી.
વિશાલને પણ પહેલાથી શંકા હતી કે કંઈક બરાબર નથી. આ પછી વિશાલ ફરીથી પુણે પોલીસને મળ્યા અને સિયા પર શંકા વ્યક્ત કરી. તેમણે એમ પણ કહ્યું કે સિયા કોઈ છોકરા સાથે વાત કરે છે, તેની પણ તપાસ થવી જોઈએ.
બીજો પુરાવો: કિલ્લાના CCTV ફૂટેજમાં ગરમીમાં હુડી પહેરેલો છોકરો દેખાયો

પોલીસે લોહગઢ કિલ્લાના સીસીટીવી ફૂટેજ કાઢ્યા. આમાં 18 જૂને એક શખ્સ ત્યાં પહોંચેલા કેતન અને સિયાની આસપાસ ઘણી વાર દેખાયો.
ગરમીની મોસમ, ઉપરથી કિલ્લાની ચઢાઈ, તેમ છતાં કિલ્લાની સીડીઓના ફૂટેજમાં દેખાયું કે તે હુડી પહેરેલો હતો. પોલીસના મતે, છોકરો પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
ત્રીજો પુરાવો: સિયાના એક નંબર પર 2000થી વધુ કોલ્સ
પોલીસે સિયાના કોલ-રેકોર્ડ તપાસ્યા. આમાં એક મોબાઈલ નંબર પર જાન્યુઆરીથી કેતનની હત્યાના દિવસે સવારે 7 વાગ્યા સુધી સિયાએ 2004 કોલમાં લગભગ 338 કલાક વાતચીત કરી હતી એટલે કે બંને રોજ લગભગ 11 કોલ્સમાં 2 કલાક વાત કરતા હતા.
આ નંબર પુણેના જ એક અન્ય વેપારી પરિવારના છોકરા ચેતન ચૌધરીનો હતો. ચેતનનું ઘર પુણેના એ જ વિસ્તારમાં હતું, જ્યાં સિયાના પિતાની ઓફિસ છે.
હત્યાના 2 કારણો; દાવો- સિયા લગ્ન માટે તૈયાર ન હતી
સિયા લગ્ન માટે તૈયાર ન હતી: પોલીસને શંકા છે કે મુખ્ય આરોપી સિયા ગોયલ લગ્ન માટે માનસિક રીતે તૈયાર ન હતી અને પરિવારના દબાણમાં કેતન સાથે લગ્ન કરવા જઈ રહી હતી. આ જ પાસાને પોલીસ હત્યાના સંભવિત કારણોમાંથી એક માનીને તપાસ કરી રહી છે.
બદનામીના કારણે પ્રેમી સાથે ભાગી નહીં: પ્રેમી ચેતને જણાવ્યું કે સિયા સગાઈ તોડીને ભાગી જવાના પક્ષમાં ન હતી. તેને લાગતું હતું કે તેનાથી તેના પરિવારની બદનામી થશે.

મર્ડર પહેલા સિયાનો મંગેતર સાથે ડાન્સ, રોમાન્સ; 3 તસવીરો
કેતનનું મર્ડર કરતા પહેલા સિયાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેતન અગ્રવાલ (26) સાથે ઘણી રોમેન્ટિક પોસ્ટ કરી હતી. ક્યારેક પ્રપોઝલની તસવીરો, ક્યારેક ફૂલ આપીને પ્રેમ વ્યક્ત કરતી પળો, તો ક્યારેક ડાન્સ અને ગળે મળવાના વીડિયો.
બંનેના નવેમ્બરમાં થનારા લગ્નની તૈયારીઓ પણ સોશિયલ મીડિયા પોસ્ટનો ભાગ હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં સગાઈ પછી સિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક કેકની તસવીર શેર કરતા લખ્યું હતું – મારા દિલને તેનું ઘર મળ્યે એક મહિનો પૂરો થયો.



































