નવસારીમાં દરગા રોડ નજીક બે પરિવાર વચ્ચે પાર્કિંગ બાબતે શરૂ થયેલો વિવાદ ગત રાત્રે ગરમાવો પામ્યો છે. ગઈકાલે વિવાદમાં એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ નોંધાયા પછી મોડીરાત્રે ટોળાએ રામ મંદિરમાં ભેગા થઈ રામધૂનનું આયોજન કર્યું હતું, જેના પછી ટોળા દ્વારા કાગદીવાડ તરફ ધસી જવાની ઘટના બની હતી. એમાં જય શ્રીરામના નારા પોકારવામાં આવ્યા હતા. પોલીસે ટોળાને વિખેરવા કાર્યવાહી કરી, પરંતુ આ દરમિયાન પથ્થરમારાની ઘટનામાં એક મહિલા ઘાયલ થઈ, જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે જિલ્લા પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો છે. પોલીસ તેમજ સ્થાનિક આગેવાનોએ લોકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. દરગાહ રોડની હાલમાં સ્થિતિ નિયંત્રિત છે.
શું હતી બબાલ? નવસારી શહેરમાં આવેલા દરગાહ રોડ પરની પેન્ટર શૈખની ગલીમાં રહેતાં મયૂરીબેન તથા તેમના પતિ વિમલભાઈ પટેલ સાથે તેમના ઘર પાસે ઊભાં હતાં. એ દરમિયાન આજ મોહલ્લામાં રહેતા શાહ નવાજ ભંડેરી તેની બાઈક પર બેસીને નીકળ્યો હતો અને વિમલ પટેલને તેની બાઈક નડતી હોવાથી સાઇટ પર હટાવી લેવાનું કહ્યું હતું, એ દરમિયાન શાહનવાઝે તેને ગાળો આપી અને મોબાઈલ ફોન કરીને તેના અન્ય સાગરીતોને બોલાવ્યા હતા. ટૂંક સમયમાં પાંચ સાગરીત દોડી આવ્યા હતા અને વિમલ પટેલને ગાળો આપી માર મારવાની ધમકી આપી જાતિવિષયક અપમાન કરતી ટિપ્પણી કરી હતી, જેના પગલે બન્નો પક્ષ વચ્ચે તંદેલી પ્રસરી હતી. આ બાબતે સોશિયલ મીડિયામાં કેટલીક પોસ્ટ ઝડપી વાઇરલ થઈ હતી. પરિણામે, ગઈકાલે રાત્રે પટેલ દંપતીના સમર્થન કરતું 200નું ટોળુ નવસારી ટાઉન પોલીસ મથકે ધસી જઈને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી. બીજી તરફનું પણ યુવાનોનાં ટોળાં પણ દરગાહ રોડ ઉપર ભેગાં થતાં પોલીસે ચુસ્ત ચાંપતો બંદોબસ્ત ગોઠવી બને પક્ષના ટોળાંને વિખેરી દઈ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું, આ પ્રકરણમાં પોલીસે ગઈકાલે મયૂરી વિમલભાઈ પટેલની ફરિયાદને આધારે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી શાહનવાજ ઇકબાલ શેખ અને રસીદા સમદની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય આરોપીઓને પકડવા માટે ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યાં છે.
ગત રાત્રે શું થયું? ગત મોડીરાત્રે રામ મંદિરમાં મોટી સંખ્યામાં યુવાનો ભેગા થયા હતા અને ત્યાંથી રામધૂન બોલાવી સીધા દરગાહ રોડ વિસ્તારમાં પહોંચ્યા હતા અને જય શ્રીરામના નારા પોકારવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે તાત્કાલિક તત્પરતા દાખવીને દરગાહ રોડ વિસ્તારમાં મોટો પોલીસકાફલો ખડકી દીધો હતો અને ટોળાને નિયંત્રિત કરવા માટેનાં પગલાં લીધાં હતાં. આ મામલે સામસામે નારેબાજી પોકારવામાં આવતાં પોલીસે તાત્કાલિક 200થી 300 જેટલાં ટોળાં સામે એફઆઇઆર નોંધવાની તજવીજ શરૂ કરી છે. બંને જૂથ સામસામે આવી જતાં જૂથઅથડામણ ન થાય અને કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે એમાં શહેરમાં શાંતિનો માહોલ જળવાઈ રહે તેમ જ અફવાઓ ફેલાય નહીં એ માટે ટોળાંને વિખેરવામાં આવ્યાં હતાં, જે અંગેની FIR ટાઉન પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. વીડિયોગ્રાફી તેમજ આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સોશિયલ મીડિયા પર ભડકાઉ વીડિયો અને લખાણ ફર્યાં નવસારીના સોશિયલ મીડિયા ઉપર બંને ટોળાં પૈકી કેટલાક લોકો દ્વારા શહેરની શાંતિ ડહોળવા માટે વિવાદાસ્પદ લખાણ ફરતા કર્યા હતા, જેના આધારે અફવાઓનું બજાર ગરમ બન્યું હતું, આ મામલે બંને ટોળાં પૈકી ઉશ્કેરણીજનક વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જોકે પોલીસે એક્શનમાં આવી કાર્યવાહી હાથ ધરી હતી.
શું કહે છે જિલ્લા પોલીસવડા? નવસારી જિલ્લા પોલીસ અધીક્ષક સુશીલ અગ્રવાલે શહેરીજનોને અપીલ કરે છે કે નવસારી શહેરના દરગાહ રોડ વિસ્તારમાં જે માથાકૂટ થઈ હતી. એ મામલે પોલીસે જવાબદારો સામે કાર્યવાહી કરી છે, ત્યાર બાદ સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવામાં આવી હતી એ મામલે પણ કાર્યવાહી કરવામાં આવશે, સાથે જ ગત રાત્રે જે ટોળાં દરગાહ રોડ પર ભેગાં થયાં હતાં અને સામસામે સૂત્રોચ્ચાર કર્યા હતા, એવા 200થી 300 જેટલા જવાબદારો સામે પણ કાયદેસરનાં પગલાં લેવામાં આવશે.